સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ શુક્રવારે આ વિવાદે હિંસક વળાંક લીધો હતો. યુનિવર્સિટી કેમ્પસ જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરતી પ્રક્રિયામાં અન્યાય અને ટેકનિકલ ખામીના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા NSUI અને ત્યાં અગાઉથી હાજર ABVPના કાર્યકરો વચ્ચે કુલપતિ ચેમ્બરમાં જ ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી.
આ હોબાળામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. કાર્યકર્તાઓએ ‘વીસી તુમ એક કામ કરો સાડી પહેરી રાજ કરો’નાં નારા લાગ્યા હતા. એક તબક્કે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે, કુલપતિએ પોતે જીવ બચાવવા ખૂણામાં ભરાઈ જવું પડ્યું હતું. આ ઝપાઝપીનાં વીડિયો પણ વાયરલ થયા છે.
ભરતીમાં અન્યાયના મુદ્દે રજૂઆત અને ઘર્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે જાહેરાત ક્રમાંક RC/09 થી 44/2025 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અંદાજે 146 જેટલા ઉમેદવારો એવા છે જેમણે ફી ભરી દીધી હોવા છતાં ટેકનિકલ જટિલતાને કારણે ‘Final Submit’ કરવાનું રહી ગયું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ઉમેદવારોને પરીક્ષા માટે અયોગ્ય ઠેરવ્યા હોવાથી NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં કાર્યકરો કુલપતિને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
ઓનલાઇન ફોર્મમાં સામાન્ય ભૂલના કારણે 146થી વધારે ઉમેદવારોના ફોર્મ રદ બીજી તરફ, રાજ્યની યુનિવર્સિટીઓમાં રોસ્ટર રજીસ્ટરની અમલવારીમાં ભંગ થતો હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. NSUIનો દાવો છે કે 21-1-1996 અને 7-2-2019ના પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જગ્યાઓ ભરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, રજીસ્ટ્રાર અને તેની સમકક્ષ કેડરમાં રોસ્ટર ક્રમ 7 અને 14 પર ST ઉમેદવાર હોવા જોઈએ, પરંતુ ત્યાં ઓપન કેટેગરીના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે.
ABVPના કાર્યકરો પણ VCની ચેમ્બરમાં હાજર હોવાથી બન્ને જૂથ સામ સામે આવ્યા આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં રોસ્ટર રજિસ્ટરનું પાલન નહીં કરીને SC/ST/OBCના ઉમેદવારો સાથે કરેલ અન્યાય અને ઓનલાઇન ફોર્મમાં સામાન્ય ભૂલના કારણે 146થી વધારે ઉમેદવારોના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે NSUIએ કુલપતિનો વિરોધ કરી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે NSUIના આગેવાનો આ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં ABVPના કાર્યકરો પણ હાજર હતા.
VCએ જાણીજોઈને ABVPના કાર્યકરોને બોલાવી દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા NSUIનો આરોપ છે કે, તેમણે અગાઉથી સમય લીધો હોવા છતાં કુલપતિએ જાણીજોઈને ABVPના કાર્યકરોને બોલાવ્યા હતા અને દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. આ દરમિયાન બંને જૂથના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જે જોતજોતામાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. મુદ્દાને દબાવા માટે કુલપતિ ના ઈશારે અને ABVPના ગુંડા તત્વો દ્વારા NSUIના કાર્યકર સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. બીજીતરફ ABVPના મતે તેઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ આવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ભરતીમાં સરકારના અનામત નીતિ અને રોસ્ટર ક્રમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 146 કરતા વધુ વિદ્યાર્થીઓને મેઈલ કરીને જાણ કરવામાં આવી છે કે તેઓ ફાઈનલ સબમિટ કરવાનું ભૂલી ગયા હોવાથી પરીક્ષા માટે પાત્ર નથી. જોકે, વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓએ તમામ વિગતો ભરી છે અને ફી પણ ચૂકવી છે.
યુનિવર્સિટીની જટિલ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાથી આ મામલે કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, નરેન્દ્રસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં સરકારના અનામત નીતિ અને રોસ્ટર ક્રમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આના કારણે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો નીતિ-નિયમો મુજબ ભરતી કરવામાં નહીં આવે તો NSUI આગામી સમયમાં મુખ્યમંત્રી અને આયોગ સુધી રજૂઆત કરશે. તેમજ આંદોલન પણ ચાલુ રાખવામાં આવશે.